દર વર્ષે વિશ્વભરમાં જેટલા વાહન અકસ્માતો થાય છે એમાંથી અડધોઅડધ અકસ્માત માટે દારૂ જવાબદાર હોય છે. આ જ રીતે, મોટાભાગની ઘરની અંદર કે ઘરની બહાર થતી મારામારી અને ખૂન પાછળ પણ દારૂ જ જવાબદાર હોય છે.
દારૂ પીવાથી જોવાની ક્ષમતા ઘટી જાય છે. રાતના ડ્રાઇવિંગ દરમિયાન દારૂ પીધો હોય તો આંખમાં હેડલાઇટનો પ્રકાશ ગયા પછી ફરીથી સામાન્ય દેખાવાનું શરૂ થતાં વધુ સમય લાગે છે. સ્વાદ, ગંધ અને શ્રવણ શક્તિમાં ઘટાડો થાય છે. સ્નાયુઓનું અંદરો અંદર કામ ઘટે છે. સ્થિર ઊભા રહેવામાં અને કોઈપણ પ્રતિક્રિયા કરવામાં તકલીફ પડે છે. પોતાની ભૂલોને નજર અંદાજ કરવી અને કામ કરવામાં વધુ પડતો આત્મવિશ્વાસ દારૂ પીવાથી આવે છે જે છેવટે કામની ગુણવત્તા ઘટાડી નાંખે છે.
દારૂ પીવાને કારણે નિર્ણય શકિત, નિરીક્ષણ શકિત, એકાગ્રતા અને પ્રતિભાવ ક્ષમતામાં શુક્ષ્મ ઘટાડો થાય છે. વ્યકિત પોતાનો મૂડ કાબૂમાં રાખવા અસમર્થ બની જાય છે. શારીરિક અને માનસિક કાર્યક્ષમતામાં દારૂ પીવાથી ઘટાડો થાય છે. જે વ્યક્તિ ટેન્શન-ચિંતાને કારણે સમાજમાં હળભળી ન શકતો હોય એને દારૂ લેવાથી શરૂઆતમાં ટેન્શન-ચિંતા ઘટી ગયેલાં જણાય છે, અને બોલવામાં રહેલ માનસિક નિયંત્રણ કે શરમ ઘટી જાય છે..
દારૂના લાંબા ગાળાના વપરાશથી મગજ પર ખૂબ જ ખતરનાક અસરો થાય છે. યાદશકિતનો નાશ થાય અને શરીરનું સમતોલન જાળવવામાં તકલીફ પડે છે. આંખના ડોળાની ગતિ દરેક દિશામાં નથી થઈ શકતી અને શરીરનું સમતોલન જળવાતું નથી.
દારૂ પીવાથી હૃદયના સ્નાયુઓ ઉપર સીધું નુકસાન થાય છે જે અમુક દર્દીઓમાં હૃદય પહોળું કરી નાંખીને હૃદયની બીમારી ઊભી કરે છે. આલ્કોહોલિક કાર્ડિયોમાયોપથી તરીકે ઓળખાતી આ અસાધ્ય બીમારી ને લીધે હૃદયનું પમ્પીંગ બરાબર થઈ શકતું નથી જેને કારણે સોજા આવવાની અને શ્વાસ ચઢવાની તકલીફો ઊભી થાય છે. દારૂના સેવનથી હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ જવાની શક્યતા વધે છે.
લોહીમાં યુરિક એસિડ વધી જાય ત્યારે એ હાથ-પગની આંગળીના સાંધાઓમાં જમા થાય છે અને ખાસ તો પગના અંગુઠાના મૂળ પાસેના સાંધા પર અચાનક સોજો અને દુખાવો થવા લાગે છે. ગાઉટ તરીકે ઓળખાતો સાંધાનો આ દુખાવો દારૂ બંધ કરી દેવાથી ઓછો થઇ જાય છે.
દારૂ પીવાથી બ્લડપ્રેશર વધે છે. આ ઉપરાંત ચામડીની રકતવાહિનીઓ પહોળી થાય છે જેને કારણે સહેજ ગરમાવો અનુભવાય છે, પરંતુ એનાથી શરીરની ગરમી જલદી ઘટવા લાગે છે. વધુ પડતી ઠંડીમાં દારૂ પીવાથી શરીર વધુ ઠંડુ પડવા લાગે અને એને કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
દારૂની સૌથી વધુ ગંભીર અસર લિવર પર થાય છે. દારૂને કારણે લિવરમાં ચરબીનો ભરાવો થાય છે, લિવર પર સોજો આવે છે અને સિરોસિસ તરીકે ઓળખાતી લિવરની ગંભીર તકલીફ ઊભી થાય છે. સિરોસિસ થવાને કારણે લિવરનું મોટાભાગનું કામકાજ ખોરવાઈ જાય છે, પેટમાં પાણીનો ભરાવો (જલોદર) થાય છે અને લોહીની ઊલટી થાય છે, જે કયારેક જીવલેણ બની શકે છે
લિવર, સ્વાદુપીંડ અન્નનળી, જઠર, ગળા અને સ્તનનાં કેન્સર થવાની શક્યતા દારૂ પીવાથી ખૂબ વધી જાય છે, કારણ કે શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય છે. વળી જ્યારે વધુ પ્રમાણમાં દારૂ પીવામાં આવે ત્યારે કિડની દ્વારા યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે.