તકમરિયાનો છોડ મૂળભૂત રીતે આપણા દેશનો છે. આપણે ત્યાં સદીઓથી તેના બીજનો ખાવામાં અને ઔષધ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. તકમરિયાનો છોડ એ જંગલી તુલસીની એક જાત છે. તેનાં પાન નાનાં કાંગરીવાળા, ચોરસ, ડાંડીનાં હોય છે. તેની ડાંડી શાખોથી ભરેલી હોય છે. તેનું ફૂલ રતાશ પડતું હોય છે. એનાં બીજ કાળાં થાય છે. જેને તકમરિયા કહેવામાં આવે છે.
આ સ્વાદે તીખા, કડવાને તૂરા તથા ગરમ હોય છે. એનો છોડ રૂંવાટી વગરનો પાલા જેવો હોય છે. એ વનવગડામાં ઊગી નીકળે છે. ખાસ કરીને પાનખર ઋતુમાં તે થાય છે.તકમરિયા ગુણમાં શીતળ, જવરબ્બા તથા વાતહર છે. તકમરિયાના નાનાં, કાળા દાણા અનેક પોષક તત્વનો ખજાનો હોય છે. તે પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ છે. તે ઉપરાંત માં વિટામિન એ, વિટામિન કે, લ્યૂટિન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, આયર્ન જેવાં અનેક ઉપયોગી તત્ત્વો છે.
તકમરિયા રુચિ વધારે તથા જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. નાનાં બાળકોને દાંત આવવાના સમયે થતાં ઝાડા મટાડવા માટે વપરાય છે. તેના સૂકાં પાંદડાં સાથે સુંઠ અને કાળા મરી આપવાથી ટાઢિયો તાવ તથા એકાંતરિયો તાવ મટે છે. તકમરિયાં ખાવાથી આનંદ ઊપજે છે. શરીરમાં કૌવત પેદા કરે છે. તે પૌષ્ટિક છે તથા સ્ત્રીઓનું દૂધ, દાસ્તાન તથા પરસેવો લાવનાર છે. તે સોજાને બેસાડી દે છે. ચામડી ફાટી ગઈ હોય તેને બરાબર કરે છે.
તકમરીયાને ગુલાબના શરબતમાં મિક્સ કરી પીવાથી પિત્તજ્વર તૃષા, મોંનું સુકાઈ જવું તથા લૂ લાગે તે માટે છે. તકમરિયાનો લેપ જવનો લોટ, ગુલાબનું તેલ તથા સરકા સાથે ગરમ કરવાથી સોજાને ફાયદો કરે છે. તેનાં પાન વાટીને દાદર પર લગાડતાં તે મટે છે.
યકૃતની મંદતા, પ્લીહા તથા મૂત્રાશયની વ્યાધિમાં તકમરીયા ગુણકારક છે. તેનાં બીજને વાટીને ખાંડીને બાવળનાં ગુંદર સાથે તેનો ઉપયોગ કરતા મરડામાં ફાયદો કરે છે. તેનો ઉકાળો પણ બનાવી શકાય. તકમરિયાને પાણીમાં ભીંજવી રાખવા પછી તેમાં સાકર નાખીને પીવાથી મૂત્ર માર્ગનો દાહ મટે છે. પેશાબ છૂટથી આવે છે. ઉનવા તથા બળતરા મટે છે.
એક ગ્લાસ પાણીમાં થોડી સાકર અને તકમરિયા નાંખીને પીવાથી એસિડિટીમાં રાહત થાય છે. તે બ્લડશુગરને નિયંત્રણમાં રાખે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયી છે. તે શરીરને ડિટોક્સ કરે છે અને કબજીયાત, ગેસ જેવી તકલીફો પણ દૂર કરે છે. તેના નિયમિત સેવનથી સ્કીન અને હેર હેલ્ધી બને છે.
કાનમાં તેનાં પાનનાં ટીપાં નાખતાં કાનનું દર્દ બેસી જાય છે. તેનાં પાણીને સરકા તથા કપૂર સાથે મેળવી નાકમાં નાખવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. તેનાથી છીંકો પણ ઘણી. આવે છે. તકમરિયાનાં મૂળિયાં નાનાં બાળકોની કબજિયાત મટાડવા માટે વપરાય છે.
તકમરીયાનાં બીજ પ્રોટીન તથા આયરનથી ભરપૂર હોય છે. એટલા માટે તેનું સેવન કરવાથી વાળ મજબૂત, ચમકદાર, લાંબા અને ઘાટા બને છે અને ઝડપથી ગ્રોથ થાય છે. તકમરીયાનાં બીજ માં ઘણા પાચક એન્ઝાઇમ હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
તકમરીયાનાં બીજનું સેવન કરવાની યોગ્ય રીત એ છે કે તેને પાણીમાં પલાળી દેવામાં આવે. પાણીમાં પલાળી દેવાથી તકમરીયાનાં ફાયદા અનેક ગણાં વધી જાય છે. ઠંડા અથવા ગરમ પાણીમાં ૨૦ થી ૩૦ મિનિટ સુધી પલાળી દેવા પર આ બીજ ફુલી જાય છે. તેવામાં તે દેખાવમાં જેલી જેવા દેખાવા લાગે છે.
દરરોજ ૨ ચમચી પલાળેલા તકમરીયાનાં બીજનું સેવન ઘણા પ્રકારથી ફાયદાકારક માનવામાં આવે છે. તકમરીયાનાં બીજનો કોઈ ખાસ સ્વાદ હોતો નથી એટલા માટે તેને ઘણા બધા પ્રકારના ભોજન પદાર્થોમાં ઉમેરીને સેવન કરી શકાય છે.
તકમરીયા ખાવાથી શરીરમાં મળી આવતા ઘણા બધા હાનિકારક ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેનાથી શારીરિક ક્ષમતા વધે છે અને નાની-મોટી તકલીફો દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. તકમરીયાનાં સુકાયેલા બીજને પીસીને નારિયેળ તેલમાં ઉમેરીને સ્કિન પર લગાવવાથી એક્ઝિમાં સોરાયસીસ રોગ દૂર થાય છે.